Take a Tour

Thursday, March 29, 2012

તમે શું માનો છો, દુનિયા કેવી છે?




એક ગામના પાદરમાં એક સાધુ અને એક શિષ્ય રહેતા હતા. એક વખત એક માણસ આશ્રમમાં આવ્યો. તેણે સાધુને પૂછયું કે આ ગામમાં કેવા લોકો રહે છે? આ ગામ વસવાટ કરવા જેવું છે? તમે મને કહો કે આ ગામના લોકો સારા છે કે ખરાબ?

સાધુએ એ માણસને સામો સવાલ કર્યો કે ભાઈ તું જે ગામમાંથી આવે છે એ ગામના લોકો કેવા હતા? પેલા માણસે કહ્યું કે હું જે ગામમાંથી આવું છું એ ગામના લોકો તો એકદમ નાલાયક, બદમાશ, લુચ્ચા અને સ્વાર્થી હતા. આ વાત સાંભળીને સાધુએ કહ્યું કે આ ગામના લોકો પણ એવા જ છે, એકદમ નાલાયક, બદમાશ, સ્વાર્થી અને લુચ્ચા. ગામમાં એકેય સારો માણસ છે જ નહીં. આ ગામ રહેવા જેવું જ નથી. સાધુની વાત સાંભળીને પેલો માણસ ગામ સામે નજર નાખ્યા વિના જ બારોબાર ચાલ્યો ગયો.

થોડા દિવસો પછી બીજો એક માણસ આશ્રમમાં આવ્યો. એ માણસે પૂછયું કે આ ગામ વસવાટ કરવા જેવું છે? આ ગામના લોકો કેવા છે? સાધુએ એને પણ સામો સવાલ કર્યો કે ભાઈ તું જે ગામમાંથી આવે છે એ ગામના લોકો કેવા હતાએ માણસે જવાબ આપ્યો કે હું જે ગામમાંથી આવું છું એ ગામના લોકો તો બહુ જ ભલા, સારા, સજ્જન અને દયાળુ હતા. એ માણસની વાત સાંભળીને સાધુએ કહ્યું કે આ ગામના માણસો પણ એવા જ છે, ભલા, સારા, સજ્જન અને દયાળુ. આ ગામ ખરેખર બહુ જ સારૂં અને રહેવા જેવું છે. સાધુની વાત સાંભળી એ માણસે ગામ તરફ ડગલાં ભર્યાં.

સાધુના એ બેવડાં જવાબ સાંભળી શિષ્યને આશ્ચર્ય થયું. શિષ્યએ સાધુને સવાલ કર્યો કે તમે બે માણસને અલગ અલગ જવાબ શા માટે આપ્યા? સાધુએ કહ્યું કે અંતે તો માણસને એ પોતે જેવો હોય એવું જ બધું લાગે છે. તને ખબર છે એ બંને માણસો એક જ ગામમાંથી આવતા હતા! ગામ, શહેર, દુનિયા અને લોકો સરવાળે તો તમે જેવું માનતા હો એવા જ હોય છે. આપણો વાંધો એ હોય છે કે આપણે આપણા વિશે કંઈ વિચારતા નથી અને દુનિયા વિશે ખયાલો બાંધી લઈએ છીએ.

દુનિયા સારી જ છે અને સતત સારી જ થતી જાય છે. દુનિયા તો યુગોથી એની એ જ છે. એ જ ધરતી છે, એ જ આકાશ છે, એ જ નદીઓ છે, એ જ દરિયો છે, એ જ પર્વતો છે, બધું એનું એ જ છે. સારા માણસો અગાઉ પણ હતા અને અત્યારે પણ છે. રાક્ષસો અને જાસૂસો સતયુગમાં પણ હતા અને થોડાક એવા લોકો અત્યારે પણ છે. એનાથી દુનિયા ખરાબ થઈ જતી નથી.

source :  http://sandesh.com/article.aspx?newsid=45581

No comments:

Post a Comment